Thursday, July 10, 2014

લેકચરર્સને ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ

લેકચરર્સને  ફાજલ કરવાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટનો મનાઇ હુકમ


સોર્સ - ગુજરાત સમાચાર 
ડિસ્ટ્રીક્ટ  ઇન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ  ટ્રેનીંગ(ડાએટ) હેઠળની પંદર પીટીસી કોલેજના સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને ફાજલ/છૂટા કરવા અંગેના ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયના અમલ સામે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના આદેશ મારફતે મનાઇહુકમ ફરમાવી દીધો છે. ૭૬ જેટલા પ્રાધ્યાપકો તરફથી સરકારના વિવાદીત નિર્ણયને પડકારતી રિટ અરજીમાં જસ્ટિસ હર્ષાબહેન દેવાણીએ કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રાલય, રાજય સરકાર, નેશનલ કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(એનસીઇઆરટી), ગુજરાત કાઉન્સિલ ફોર એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ(જીસીઈઆરટી), અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી, કમિશનર ઓફ સ્કૂલ્સ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસ જારી કરી હતી અને કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી હતી.
ગુજરાત સરકારના વિવાદીત નિર્ણયને ૭૬ જેટલા વ્યાખ્યાતાઓએ હાઇકોર્ટમાં પડકાર્યો ઃ કેન્દ્ર અને રાજય સરકારને નોટિસ
વધુમાં, હાઇકોર્ટે ડાએટ હેઠળની પીટીસી કોલેજના આ અરજદાર સિનિયર લેકચરર્સ અને લેકચરર્સને તેમની મૂળ જગ્યાએ ફરજ બજાવવા દેવા અને તેમનો પગાર ચાલુ રાખવા પણ સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સરકારના તા.૩૦-૬-૨૦૧૪ના અરજદારોને મૂળ જગ્યાએથી ફાજલ/છૂટા કરવાના તેમ જ તા.૭-૭-૨૦૧૪ના ડીઇઓ હેઠળ મૂકી ત્યારબાદ તેમના નિર્દેશ મુજબ તેઓને સમાવવા અંગેના નિર્ણયના અમલીકરણ સામે મનાઇહુકમ ફરમાવી દીધો હતો. ડાએટ હેઠળની પંદર પીટીસી કોલેજના ૭૬ સિનિયર લેકચરર્સ અને લેકચરર્સ તરફથી કરાયેલી સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં-૯૫૬૦/૨૦૧૪માં  એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ડાએટ એ કેન્દ્ર સરકારની સ્કીમ હેઠળ ચાલતી વ્યવસ્થા છે, જેનું કામ શિક્ષકોને તાલીમ આપવા ઉપરાંત પીટીસી કોલેજોનું સંચાલન, રિસર્ચ સહિતનું ઘણુબધુ છે. ડાએટ એ પીટીસી કોલેજ માત્ર નથી અને તેને વિદ્યાર્થીઓની સંખ્યાના મુદ્દે કોઇ લેવાદેવા નથી, તેનો આધાર તો શિક્ષકોની સંખ્યા પર હોય છે. વળી, ડાએટની પ્રિસર્વિસ ટીચર્સ એજયુકેશન ટ્રેનીંગ બ્રાંચ હેઠળની પીટીસી કોલેજ લેબોરેટરીનું કામ કરે છે અને આ બ્રાંચ ડાએટની તમામ બ્રાંચોમાં હાર્દ સમી છે.  અરજદારો છેલ્લા પંદર-સોળ વર્ષોથી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે અને સરકાર દ્વારા પુખ્ત વિચારણા વિના લેવાયેલા ઉપરોકત નિર્ણયના કારણે તેમના બંધારણીય અને નોકરીના અધિકારોનું હનન થાય છે. રાજય સરકાર દ્વારા તાજેતરમાં સંબંધિત પીટીસી કોલેજો બંધ કરવાનો અને તેના વ્યાખ્યાતાઓને ફાજલ/છૂટા કરવાનો જે નિર્ણય લીધો છે, તે સત્તા બહારનો ગેરકાયદે અને અયોગ્ય હોઇ રદબાતલ થવાપાત્ર ઠરે છે. કારણ કે, ડાએટની સ્કીમ કેન્દ્ર સરકારની હોઇ તેનું અંગ બંધ કરવાની સત્તા રાજય સરકારને ના હોઇ શકે. અરજદારપક્ષ તરફથી કરાયેલી દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે ઉપરમુજબ મહત્વનો હુકમ જારી કર્યો હતો.


No comments:

Post a Comment